જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને એમાં આવેલ અડી-ચડીની વાવ ને નવઘણ કૂવો તો કિલ્લામાં આવેલું તળાવ અને બૌદ્ધગુફાઓ ઉત્તમ સ્થાપત્યના અને માળખાકીય સુવિધાઓના પ્રેરક નમૂનારૂપ છે. ગીરનાર કે જ્યાં સિદ્ધ ચોરાસીના બેસણા છે અને જે પર્વત ઉપર પાંચ ઉંચા શિખરો આવેલા છે એવો પ્રાચિન, પૌરાણિક, ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતોવાદળથી વાતો કરતો ઊંચો ગઢ ગીરનાર. રાજા અશોકે ગિરનાર પર્વતમાળામાં મોટા પથ્થરો ઉપર ૧૪ આજ્ઞાઓ પણ લખી હતી એ આજ્ઞાઓને સાચવી રહેલો શિલાલેખ. ભક્ત કવિ નરસિંહ મહેતાનું જન્મસ્થળ ઉપરાંત અનેક નામી-અનામી પ્રતિભાવંત વ્યક્તિ વિશેષોની જન્મભૂમિ અને અનેક જોવાલાયક ઐતિહાસિક સ્થાપત્યો તેનું મ્યુઝિયમ, સક્કરબાગ પ્રાણીસંગ્રહાલય જૂનાગઢની આગવી ઓળખ છે.
જુનાગઢ મુલાકાત દરમિયાન શૈલેષભાઈની મહેમાનગતી માણી. શૈલેષભાઈ આર્ટિસ્ટ કમ ફોટોગ્રાફર તરીકે સરકારી નોકરી માંથી નિવૃત થયા. મ્યુઝિક, ચિત્રકલા અને ફોટોગ્રાફી નો વિશેષ શોખ ધરાવનાર શૈલેષભાઈને ઉત્તમ ચિત્રકાર તરીકે ગૌરવવંત રાષ્ટ્રીય એવોર્ડ મળેલ છે. શૈલેષભાઈને ત્યાં જુના જમાનાના મ્યુઝિકલ સાધનો અને કેમેરાનુ અદ્દભુત કલેક્શન છે. મળવા ગમે એવા શૈલેષભાઈની મહેમાનગતી માણી વિશેષ આનંદ થયો. જુનાગઢ ની મુલાકાત માટે અઠવાડીયું પણ ઓછું પડે એટલી જગ્યાઓ જુનાગઢ સાચવીને બેઠું છે પણ અમારા નશીબમાં માત્ર એક દિવસ જ લખાયો હશે એટલે સંપૂર્ણ જુનાગઢને ગિરિરાજ આજ્ઞા આપે તો લીલી પરિક્રમા સહીત ફરી કોઈક વખત માણીશું.
નિતીન પટેલ (વડગામ)
