શિક્ષણ, શિક્ષક અને શૈક્ષણિક સંસ્થાઓ સમાજની તસ્વીર બદલી શકે છે જો શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ જીવન મૂલ્યોના પાઠ શીખી શકે એવી ઉત્તમ અને ઉત્કૃષ્ટ વ્યવસ્થાઓ શિક્ષણ સંસ્થાઓમાં ઊભી કરવામાં આવે તો અને એમાં સમાજની પણ જવાબદારી બને છે આવી વ્યવસ્થાઓને સકારાત્મક પ્રોત્સાહન આપવાની.
આજનું ડિગ્રીલક્ષી શિક્ષણ માત્ર કમાણીનુ સાધન બને તો સમાજ જીવનમાં આર્થિક સધ્ધરતા તો આવશે પણ માનવીય મૂલ્યોના અભાવે એ આર્થિક સધ્ધરતા તંદુરસ્ત સમાજ નિર્માણ નહી કરી શકે પરિણામસ્વરૂપ ભૌતિક સુખ સગવડો સુધી સિમિત બની અનેક સમસ્યાઓના સમાધાનમા અવરોધરૂપ બનશે જેના અનેક દ્રષ્ટાંતો આપણે સમાજ જીવનમાં અનુભવી રહ્યા છીએ.
મહત્વનુ એ છે શિક્ષણની સાથે , ભૌતિક સુખ સગવડોની સાથે અથવા તો આ બધાના અભાવો વચ્ચે પણ એક સમૃદ્ધ અને સંતુલિત જીવન કેમ જીવવુ એ મહત્વપૂર્ણ છે કારણ કે આખરે તો સંતુલિત વિકાસ જ માનવને સુખ , શાંતિ, પ્રેમ, કરૂણા, પ્રમાણિક્તા, સુવ્યવહાર જેવા મૂલ્યોની ભેટ આપી શકે જે માનવજીવનને ખરા અર્થમાં દિપાવી શકે. સાચા અર્થમાં સમૃદ્ધ સમાજની તસ્વીર જોવી હોય તો પાઠય પુસ્તકોની સાથે સાથે વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણથી જ જીવન મૂલ્યો પણ શીખે એ અત્યંત જરૂરી છે અને આ બધી વ્યવસ્થાઓ આપણી પ્રાચીન ગુરૂકૂળ સંસ્થાઓમાં હતી જ જ્યાં બાળકો શિક્ષણની સાથે સાથે વ્યક્તિ ઘડતરની તાલીમ પણ પામતા.
આજની બિનજરૂરી હરિફાઈના યુગમાં જીવન મૂલ્યોનું શિક્ષણ વિસરાતુ જાય છે ત્યારે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના તાલેગઢ ગામમાં આવેલી નવદીપ વિધ્યામંદિરના સંચાલક મંડળે સમર્થ ડાયમંડ, વિસનગરના પ્રેરણાદાયી સહયોગ થકી નવતર શૈક્ષણિક અભિગમ અપનાવી વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં જીવન મૂલ્યો પ્રસ્થાપિત થાય એવી આવકારદાયક પહેલ કરી છે ,જે અભિનંદનને પાત્ર છે.
શાળાનું વિઝન સ્પષ્ટ છે.
1) સ્વયંમમાં વિશ્વાસ
2) વ્યક્તિત્વમાં સંતુલન
3) પ્રતિભામાં સંતુલન
4) શ્રેષ્ઠતાનું સન્માન
5) વ્યવસાયમાં સ્વાવલંબન
6) વ્યવહારમાં સામાજિક
ઉપરોક્ત વિઝનને પરિપૂર્ણ કરવા શાળા મેનેજમેન્ટ, સ્ટાફ અને વિદ્યાર્થીઓ કટિબદ્ધ છે. જે અંતર્ગત શાળામાં શિક્ષણની સાથે સાથે જીવન મૂલ્યલક્ષી પ્રવૃતિઓ નિયમિત ચાલે છે. વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ વિવિધ જગ્યાએ સતત જીવન મૂલ્યલક્ષી તાલીમ મેળવી પોતાનું જ્ઞાન સમયાનુસાર અપડેટ કરતા રહી શાળાના વિદ્યાર્થીઓને પીરસે છે, જે વિદ્યાર્થીઓની માનસિક ક્ષમતાને ઉચ્ચ સ્તરે લઈ જવા મદદરૂપ બને છે. શાળા મેનેજમેન્ટ સ્પષ્ટ માને છે કે વિદ્યાર્થીઓ પહેલા શિક્ષક તાલીમબદ્ધ હશે તો વિઝન મિશન સરળ બનશે એટલે જરૂરિયાત કરતા વધુ શિક્ષકો રાખી શિક્ષકોને સમયાંતરે નવા દ્રષ્ટિકોણ સાથે જ્ઞાનવૃદ્ધિ અર્થે નિયમિત દેશના જ્ઞાનવર્ધક કેન્દ્રોમાં અથવા તો પ્રતિભાસંપન્ન વ્યક્તિઓની મુલાકાત, અભ્યાસ કેન્દ્રો, વિશેષ સ્થળોની મુલાકાતે તાલિમ પ્રાપ્ત કરવા હેતુ, મેનેજમેન્ટ વ્યવસ્થા કરે છે અને આ પ્રક્રિયા નિયમિત ચાલતી રહે છે.
એ જ રીતે skill Development, Expert Visit, Expert Session, પ્રતિભા પરિચય અંતર્ગત અનેક પ્રતિભાસંપન્ન વ્યક્તિવિશેષો કે જેઓ જીવનના દ્રષ્ટિકોણને સાચા અર્થમા સમજ્યા છે તેઓ નિયમિત શાળામાં આમંત્રિત કરી શિક્ષકગણ, વિદ્યાર્થીઓને એમના જીવન દ્રષ્ટાંતો થકી અમુલ્ય બાબતોથી અવગત કરાવી પ્રોત્સાહિત કરવામાં આવે છે.
દર ત્રણ મહિને શાળા પોતાનું E Magazine પ્રકાશિત કરે છે , જેમા શાળાની શૈક્ષણિક તેમજ જીવન મૂલ્ય લક્ષી પ્રવૃતિઓની માહિતી, વિશેષ આમંત્રિત મહેમાનોની વિગતો,વિશેષ મહત્વપૂર્ણ બાબતો પ્રકાશિત થતી રહે છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓ ના વાલીજનો તેમજ અન્ય લોકો પણ શાળાની પ્રવૃતિઓથી માહિતગાર રહી શકે છે. ઉપરાંત માઈન્ડપાવર ટ્રેનિંગ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, વિદ્યાર્થી જીવન વિદ્યા શિબિર , વાલી શિબિર, ઉત્સવોની ઉજવણી, Food and Fun Fair, વાલીઓ સાથે સંવાદ, પુસ્તકવાંચન, વ્યસન મુક્તિ, પ્રદર્શની , પુસ્તક પ્રદર્શન, શુભેચ્છા મુલાકાત, નેચર કેમ્પ, પ્રવાસ, વાલી મિટીંગ જેવી અનેકવિધ પ્રવૃતિઓ આ શાળામાં યોજાય છે.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમયાંતરે શેરી નાટકોના માધ્યમ થકી જનજાગૃતિના કાર્યક્રમો યોજાય છે.
આ શાળામાં જે.એમ.એસ. ક્લબ, નાટ્ય ક્લબ, નૃત્ય ક્લબ, સંગીત ક્લબ, યોગા ક્લબ, કુકિંગ ક્લબ, સાહિત્ય ક્લબ, ભાષણ ક્લબ, નેચર ક્લબ, હસ્તકલા ક્લબ, વિજ્ઞાન ક્લબ જેવી કલબોની રચના કરવામાં આવી છે અને તેના સંચાલનની જવાબદારી અલગ અલગ શિક્ષકશ્રીઓને સોંપવામાં આવી છે.
આ શાળા પરિવાર સાચા અર્થમા એક પારિવારિક ભાવના સાથે મૂલ્યલક્ષી શિક્ષણ આપી રહ્યુ છે એની પ્રતિતિ અહીના સંબોધનમાં જોવા મળે છે, જેમા એક આત્મીયભાવ ઉજાગર થતો જોવા મળે છે. વિદ્યાર્થીઓ પોતાના ગુરૂજનોને શિક્ષકજી , બહેનજી વગેરે સંબોધન કરે છે. દા.ત. શિક્ષકનુ નામ ધવલ હોય તો ધવલ શિક્ષકજી ,બહેનનું નામ કેયા હોય તો કેયા શિક્ષિકાજી એમ વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોને સંબોધન કરે છે. એ જ રીતે શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને બેટાજી કહીને સંબોધન કરે છે. વિદ્યાર્થીઓ એકબીજાને ભાઈજી-બહેનજી કહીને સંબોધન કરે છે. આની ઊંડી સકારાત્મક ભાવનાત્કમ અસર શાળા પરિવારમાં જોવા મળે છે.
સંપૂર્ણ સુવિધાયુકત શાળા કેમ્પસની સાથે તેને હરિયાળો બનાવવા વિવિધ વૃક્ષોનો ઉછેર અને જાળવણી, ઔષધીય બગીચો વગેરે ધ્યાન આકર્ષક છે.
શાળાની દરેક ઓફિસ અને વર્ગખંડની બહાર સુવાકયોના આકર્ષક પોસ્ટર છે , જે વાંચવા તો ગમે એવા છે અને થોડામાં ઘણુ બધુ કહી જાય છે. જે શાળાના વિઝનને વધુ સ્પષ્ટ કરે છે
.शिक्षा की सफलता यह है की मानव को मानव के साथ जीना आ जाए !!
સમર્થ ડાયમંડ, વિસનગર ના સંચાલકશ્રીઓ દ્વારા સમાજને પોતાની કંઈક પાછુ આપવાની ભાવના સાથે શિક્ષણની જ્યોત પ્રજ્વલિત રાખવાની સાથે વિદ્યાર્થીઓ શાળા માંથી જીવન મૂલ્યોના પાઠ શીખી એક આદર્શ નાગરિક બની સમાજજીવનને સમૃદ્ધ કરે તેવી ઉમદા ભાવના સાથે નિસ્વાર્થ ઈશ્વરીય- વંદનીય પ્રેરક- પ્રશંસનિય કાર્ય થઈ રહ્યુ છે એ બદલ સમર્થડાયમંડ પરિવાર , વિસનગર ને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. સમાજના શ્રેષ્ઠીઓ તેમજ સમાજની પણ ફરજ બને છે જે વિસ્તારમાં આવો શૈક્ષણિક તેમજ જીવન મૂલ્યો શીખવતી શૈક્ષણિક સંસ્થાઓનો જ્ઞાન યજ્ઞ ચાલતો હોય તેમાં ફૂલ નહી તોફૂલની પાંખડી સ્વરૂપે સહયોગ આપે જે અંતે તો સમાજને સવાયુ થઈને પરત જ મળવાનું છે.
નવદિપ વિદ્યામંદિરના કેમ્પસ ડાયરેક્ટર માનનીયશ્રી પારસભાઈ, આચાર્ય શ્રી પ્રવિણભાઈ ને મળીને વિશેષ આનંદ થયો તેઓ શ્રી દ્વારા અમારૂ એમના શાળા પરિવાર દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યુ તે બદલ તેઓશ્રીનો ખૂબ ખૂબ આભાર …
અન્ય શાળાઓ પણ નવદીપ વિદ્યાલય, તાલેગઢનો સંપર્ક કરી ત્યાં ચાલતી શૈક્ષણિક તેમજ જીવન મૂલ્યો શીખવી પ્રવૃતિઓ વિશે માહિતગાર થઈ એમાંથી પ્રેરણા મેળવી પોતાની શાળાઓમાં એનો અમલ કરાવશે તો આવનાર સમયમાં સમાજ જીવનમાં એક મોટુ સકારાત્મક પરિવર્તન સાથેનું પરિણામ જોવા મળશે જે માનવીય જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ કરવાની સાથે જીવનને સરળ, સુખી તેમજ સર્વે ભવંતી સુખીની ભાવનાને ચરિતાર્થ કરશે.
નિતિન એલ. પટેલ (વડગામ)