મુલાકાત

નિલકંઠ મહાદેવ, પાવઠીના દર્શને…..

મારે મન અમારી અરવલ્લી ની ગીરીમાળા એટલે દેવી- દેવતાઓ, ગુરૂમહારાજોનું અસલ સ્થાન. મને હંમેશા અરવલ્લી પર્વતમાળાનું સવિશેષ આકર્ષણ રહ્યું છે. એમાંય ચોમાસાના વરસાદ બાદ એના રૂપરંગ આપણને પૃથ્વી ઉપર સ્વર્ગનો અહેસાસ કરાવે અમારે તો નાની- મોટી નદીઓ અને વ્હોળાનું ઉદ્દગમ સ્થાન આ અરવલ્લીની પર્વતમાળા જ. અરવલ્લીની પર્વતમાળાના કણેકણ માં ઈશ્વરીય તત્વનો અહેસાસ થાય. અરવલ્લી પર્વતમાળાની ગોદમાં રમવું, ભમવું એટલે સાક્ષાત પરમાત્માના દર્શન અનુભવાય. ટુંડેશ્વર , રામેશ્વર, ખડોલિયા વિર મહારાજ, ડુંગરપુરી મહારાજની ધુણી, અમર ગુફા, અંગામા ,નિલકંઠ મહાદેવ, ગુરૂમહારાજ, મોમાજીવિર મહારાજ, ધામણથાર ( બાલકરામ ગુરૂમહારાજની તપોભૂમિ) ,ચામુંડા માતાજી, કુંતા માતાનો આંબો આટલા દેવી દેવતાઓ, ગુરૂમહારાજ ના બેસણા માત્ર જલોતરાથી મુમનવાસ વચ્ચે ની અરવલ્લી ની પર્વતમાળામાં છે. અનેક સિદ્ધ યોગીઓની અરવલ્લી તપોભૂમિ રહી છે. આવી અરવલ્લી પર્વતમાળામાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવ એવા નિલકંઠ મહાદેવના દર્શને 2022ની 10 મી જુલાઈએ જવાનું થયું. ચોમાસુ વરસાદના પાણી પી ને અરવલ્લીની પર્વતમાળાનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઊઠ્યું હતું. મુમનવાસથી મિત્ર આસિફભાઈ તેમજ પાવઠીથી હિરસિંહ ડાભી, ગંભિરસિંહ ડાભી, અજમેરસિંહ ડાભી,મણીસિંહ ડાભી,જીતેન્દ્ર સિંહ ડાભી, રવાભાઈ વાઘેલા, હરદેવ સિંહ ડાભી તેમજ વડગામથી હિતેન્દ્ર ચૌધરી અને સ્થાનિક નાના ભૂલકાઓ મારી સાથે નિલકંઠ મહાદેવ યાત્રામાં જોડાયા. મુમનવાસ ના મિત્ર આસિફભાઈ એ ચા – નાસ્તા – પાણીની સુંદર વ્યવસ્થા કરી, પાવઠીના મિત્ર ગંભિરસિંહે નિલકંઠ મહાદેવ જવા મુમનવાસથી પોતાની બોલેરો ગાડીની સેવા આપી તો અજમેરસિંહ અને અન્ય મિત્રોએ જરૂરી તમામ વ્યવસ્થા ગોઠવવામાં સેવાકીય સહયોગ આપ્યો. અમારૂ મહેમાન તરીકે જે સન્માન કર્યુ અને જે સેવા આપી એ લાગણીસભર દ્રશ્યો ક્યારેય ભુલાય એમ નથી. ઈશ્વરરૂપ નાના ભૂલકાઓ અચાનક અમારી સાથે ક્યાંયથી અમારી સાથે જોડાઈ ગયા તે અંત સુધી અમારી સાથે ને સાથે રહ્યા.

પાલનપુરથી 25 કિમી એ આવેલ વડગામ તાલુકાના પાવઠી ગામની હદમાં અને અરવલ્લીની પર્વતમાળામાં આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પ્રકૃતિની ગોદમાં આવેલ હોવાથી જ્યારે પ્રકૃતિની મુલાકાતે જઈએ એટલે ખાલી હાથે ન જવાય એટલે અમે થોડા સીડબોલ અમારી સાથે લઈને ગયેલા એ આશાએ કે આપણે પ્રકૃતિ જતનમાં ફુલ નહી તો ફૂલની પાંખડી સ્વરૂપે યોગદાન આપવું જોઈએ. અમે સૌ મિત્રોના અને ખાસ કરીને નાના ભૂલકાઓના સહયોગ થકી 100 એક સીડ બોલ પ્રકૃતિ ના ચરણે ધર્યા. નિલકંઠ મહાદેવ દેવસ્થાન ની નજીક પાણીયારી આશ્રમ અને અરવલ્લીની ટોચે ગુરૂ ધંધળી મહારાજના બેસણા છે તો નજીક મા પ્રાચિન કરમાવાદ તળાવ છે. આમ આ વિસ્તાર પ્રાકૃતિક અને ધાર્મિક દ્રષ્ટિ એ વડગામ તાલુકાનો મહત્વપૂર્ણ વિસ્તાર છે. નિલકંઠ મહાદેવ જગ્યાએ આજથી 30 વર્ષ પહેલા ગિરધારીગીરી બાપુએ અહીં તપસ્યા કરી હતી જેના ફળસ્વરૂપ આજે આ જગ્યાનો સારો એવો વિકાસ થયો છે. પાવઠી ગામ સમસ્ત નિલકંઠ મંદિર નો વહિવટ કરે છે. લોકોની અવરજવર અન્ય ધાર્મિક સ્થાનો કરતા ઓછી હોવાથી અહીં કુદરતી સ્વચ્છતાનું પ્રમાણ સારું એવું જળવાયું છે.
શિવરાત્રીને દિવસે નિલકંઠ મંદિરેથી શોભાયાત્રા નીકળે છે જે સમગ્ર પાવઠી ગામની પરિક્રમા કરી નીજ નિલકંઠ મહાદેવ મંદિરે પરત ફરે છે. આ શોભાયાત્રામાં સમસ્ત પાવઠી ગામ તેમજ આજુબાજુના ગામના પ્રજાજનો જોડાય છે અને સામુહિક ભોજન પ્રસાદ લે છે. આમ નિલકંઠ મહાદેવ પ્રત્યે સ્થાનિક તેમજ આજુબાજુના ગામડાઓના લોકોની અપાર શ્રદ્ધા છે. દર તેરસના ગામલોકો આ જગ્યાએ ભજન સત્સંગ કરે છે, જો કે ચોમાસાની ઋતુને પગલે હાલ ભજન સત્સંગ બંધ છે.
પાડવો પોતાના વન પરિભ્રમણ દરમિયાન આ સ્થળે રોકાયા હતા એવી લોકવાયકા છે એમના રોકાણ દરમિયાન અર્જુને આ જગ્યાએ જમીનમાં તીર મારી પાણી નીકાળયું હતું એના પુરાવારૂપે અહીં અમરજળ નામે અવિરત પાણી મળે છે,જે વર્ષો થી ખૂટતું નથી અને મંદિર પરિસર ની પાણીની જરૂરિયાત સંતોષે છે. કુંતામાતાનો આંબો નામે એક પ્રાચીન આંબો પણ આ સ્થળે આવેલ છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રીંછ અને ચિત્તા જેવા વન્ય પ્રાણીઓ આ વિસ્તારમાં પરિભ્રમણ કરતા જોવા મળે છે એટલે અરવલ્લી ની ગીરીમાળાઓમાં પરિભ્રમણ દરમિયાન સાવચેત રહેવું એટલું જ જરુરી છે.

દેવી – દેવતા , ગુરૂમહારાજો હંમેશા પ્રકૃતિ નજીક જીવંત સ્થાનક માં વસવાટ કરતા હોય છે એટલે આપણે પ્રકૃતિ નું જતન કરીશું એટલી એમની કૃપા આપણા ઉપર વરસસે એવુ મને તો છેલ્લા કેટલાક સમયથી અરવલ્લી ગીરીમાળા પરિભ્રમણ દરમિયાન સમજાયું .

જય નિલકંઠ મહાદેવ

 

 

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
જનરલ પર્યાવરણ પ્રવાસ

કેસુડા ટ્રેક

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં, પહાડોનાં હાડ મારા પિંડમાં ને નાડીમાં નાનેરી નદીઓનાં નીર; છાતીમાં બુલબુલનો માળો ને આંગળીમાં આદિવાસીનું તીણું તીર; રોમ મારાં...
Read More
post-image
જનરલ મુલાકાત

શ્રી જલારામ ગૌશાળા ભાભરની માહિતી

દૈનિક અંદાજીત રૂપિયા આઠથી દસ લાખના ખર્ચે ૧૨,૦૦૦ જેટલી ગૌમાતાઓની સેવા શુશ્રૃષા થકી જીવદયાના કાર્યને ખરા અર્થમાં દિપાવતી ભાભર સ્થિત શ્રી જલારામ ગૌશાળાની પાલનપુર...
Read More
post-image
જળસંચય મુલાકાત

વડનગરની વોટર મેનેજમેન્ટ સિસ્ટમ

વડનગરમાં આશરે 1000 વર્ષ પહેલા થયેલ સોલંકી કાલીન તળાવ લિંકઅપની યોજના જોઈ અભિભૂત થઈ જવાયું. વડનગરના 36 તળાવો આજે પણ વડનગરના મુખ્ય શર્મિષ્ઠા તળાવથી...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

રાજસ્થાનના આધ્યાત્મિક સ્થળોની મુલાકાત

12મી ઓક્ટોબર,૨૦૨૪ ને  વિજયાદશમીના દિવસે  અમારી ગુજરાતના પાલનપુર નજીક આવેલ વડગામ થી રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બડગામની સફર રોચક રહી. ગુજરાતની બોર્ડર ઉપર આવેલ પાંથાવાડાથી...
Read More