૧૫ , જુન, ૨૦૨૫ ના રોજ પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, રાજેન્દ્ર ચોકડી હિમંતનગર મુકામે પદ્મશ્રી એવોર્ડ વિજેતા -૨૦૨૫ Real Life Heroes આદરણીય સુરેશભાઈ સોની સાહેબની શુભેચ્છા મુલાકાતનું આયોજન થયેલુ એ રામધૂન તીર્થ યાત્રામાં જોડાવાનો શુભ સંયોગ અમને અનાયાસે પ્રાપ્ત થયો. માનનીય સુરેશભાઈ સોનીના માનવીય સંવેદના સાથેના ઉતમ સામાજિક કાર્યો વિષે મને પુરતી જાણકારી હતી અને તેમના દ્વારા સ્થાપિત સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ અને તેમની શુભેચ્છા મુલાકાત અમે અગાઉ પણ કરી ચુક્યા હતા પણ આ એવું સ્થાન હતું જયા આપણને વારંવાર જવું ગમે કારણ કે એ અહી સહજ માનવીય સ્વભાવ ધરાવતું સંવેદનશીલ વ્યક્તિત્વ એવું કાર્ય કરી રહી છે જે આપણને જીવતું જાગતું તીર્થધામ લાગે અને આવા તીર્થધામના દર્શન કરવા કોને ન ગમે ?
સમાજ જેને તિરસ્કૃત કરે એવા રક્તપિતથી પીડિત તેમજ બૌધિક રીતે વિકલાંગ ઉપરાંત એચ.આઈ.વી પોઝીટીવ અને અનાથ દર્દીઓની સાર –સંભાળ રાખવાનું ઈશ્વરીય કાર્ય આદરણીય શ્રી સુરેશભાઈ સોની સ્થાપિત સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટમાં ૧૯૮૮ થી નિરંતર ચાલી રહ્યું છે. સરકારશ્રીએ શ્રી સુરેશભાઈના સામાજિક કાર્યોને બિરદાવતા તાજેતરમાં તેઓશ્રીને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત કર્યા છે જે આપણા સૌના માટે આનંદની બાબત છે.
ઉજ્જવળ શૈક્ષણીક ઉપલબ્ધીઓ સાથે પ્રોફેસર બનેલા સુરેશભાઈનું મન જીવનમાં આર્થિક સમૃધિ પ્રાપ્ત કરવાનું ન હતું એમને એવું કાર્ય કરવું હતું જે જીવન ને સાચા અર્થમાં સમૃધ બનાવે અને એટલે એમણે પ્રતિષ્ઠિત ગણી શકાય એવી પ્રોફેસરની નોકરી છોડી સમાજના દુ:ખીજનો માટે નિસ્વાર્થ ભાવે સેવાનો ભેખ ધારણ કર્યો જે એમના જીવનનો કર્મયોગ બન્યો.
જન્મ ભૂમિ એમની વડોદરા જિલ્લાનું સિનોર ગામ પણ કર્મભૂમિ બન્યું સાબરકાંઠા જિલ્લાનું હિમંતનગર કે જ્યાં એમણે શ્રી રામુભાઈ પટેલે (સર્વોદય આશ્રમ , મઢી ) એ દાનમાં આપેલ ૩૧.૭૫ એકર જમીન ઉપર સહયોગ ગામની સ્થાપના કરી કે જ્યાં સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના માધ્યમથી દરેક પ્રકારની મૂળભૂત સુવિધાઓ અહી આશરો મેળવી રહેલા દર્દીઓને વિનામૂલ્યે પુરી પાડવામાં આવે છે અને એક જીવતો જાગતો સેવા યજ્ઞ ૧૯૮૮થી નિરંતર ચાલી રહ્યો છે. દુધાળા જાનવરો જે દૂધ આપવાનું બંધ કરે અને એની છોડી દેવામાં આવે એવા અબોલ-અપંગ નિરાધાર જાનવરોની સેવા- સુશ્રુષા પણ અહી થાય છે.
તમે જેમ જેમ આ કેમ્પસમા આવેલ વિવિધ વિભાગોની મુલકાત લેતા જાવ તેમ તેમ તમને ખ્યાલ આવે કે દેશના વિવિધ પ્રદેશોમાંથી આવી અંહી આશરો મેળવી સુરેશભાઈની હૂંફ પામી રહેલા કેટલા બધા રક્તપિતથી પીડિત તેમજ બૌધિક રીતે વિકલાંગ ઉપરાંત એચ.આઈ.વી પોઝીટીવ અને અનાથ દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે. સુજ્ઞ દાતાશ્રીઓના સહયોગ થકી આદરણિય શ્રી સુરેશભાઇ અને તેમની ટીમ સુચારૂ રૂપે દિવસ-રાત પિડિત દર્દીઓની ઉચ્ચ માનવીય સંવેદનાઓ સાથે સેવા – સુશ્રુષા કરી રહ્યા છે.
દરેક વ્યક્તિએ આવી સંસ્થાઓની અચૂક મુલાકાત લેવી જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે જીવનમા કેટલી તક્લીફો સાથે લોકો જીવન જીવતા હોય છે તેમજ તેમની નિસ્વાર્થભાવે કેવી સેવા થતી હોય છે.
સ્ટેટ, નેશનલ, આંતરરાષ્ટ્રીય તેમજ વિવિધ સંસ્થાકીય લેવલના અસંખ્ય પ્રતિષ્ઠિત એવોર્ડ આ સંસ્થાને તેની ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યો અંતર્ગત મળેલ છે જે યથાયોગ્ય છે.
સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ દ્વારા ચાલતી પ્રવૃતિઓ વિષે જાણીએ તો….
રક્તપિત્ત પીડિતોનું પુનર્વસન
કુષ્ઠ રોગના દર્દીઓ અપંગોમાં પણ સૌથી વધુ અપંગ હોય છે; તેમને અસ્પૃશ્ય ગણવામાં આવે છે, સગાઓ દ્વારા ઉપેક્ષિત કરવામાં આવે છે અને સમાજ દ્વારા બહિષ્કૃત કરવામાં આવે છે. તેઓ નરક જેવું જીવન જીવે છે, ફૂટપાથ પર અથવા ઝૂંપડીઓમાં રહે છે, અંતની રાહ જુએ છે. તેમને માનવીય ગૌરવ, સુરક્ષા અને પ્રેમ આપવાનું એક અદ્ભુત કાર્ય છે. સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટે આ કાર્ય હાથમાં લીધું છે. તેમાંના કેટલાક કાંતણ, વણાટ, ઓફિસનું કામ, માનસિક રીતે વિકલાંગ અને બાળકોની સંભાળ, હોસ્પિટલ, રસોડું વગેરે જેવા કામમાં રોકાયેલા છે.
માનસિક રીતે વિકલાંગ પુખ્ત પુરુષો અને સ્ત્રીઓ માટે રહેણાંક કેન્દ્રો
શ્રીમદ રાજચંદ્ર માનસિક અપંગ મંદિર પુરુષો: ૧. સંતરામ ભવન, ૨. શ્રી ઇન્દુકાકા ઇપ્કોવાલા ભવન, ૩. ભાગવત નિવાસ મહિલાઓ: ૧. શ્રીમદ રાજચંદ્ર માનસિક અપંગ મંદિર-બહેનો ૨. કે.પી. સંઘવી ગ્રુપ (માનસિક અપંગ ભગિની મંદિર), ૩. શ્રીમતી પરસનબેન નારણદાસ રામજી શાહ તળાજાવાલા
માનસિક અપંગ મંદિર
માનસિક રીતે વિકલાંગ વ્યક્તિઓ તેમના સંબંધીઓ માટે ઘણી સમસ્યાઓ ઉભી કરે છે. હૃદયહીન સમાજ તેમની મજાક ઉડાવે છે અને તેમને ગાંડપણ તરફ ધકેલી દે છે. આવા વ્યક્તિઓ માટે જ “સહયોગ” આગળ આવે છે અને તેમને કેન્દ્રમાં પ્રવેશ આપે છે. તેમની માત્ર પ્રેમથી સંભાળ રાખવામાં આવતી નથી, પરંતુ તેમને વાણી તાલીમ, સામાન્ય વર્તન સુધારવા માટે તાલીમ પણ આપવામાં આવે છે. અંબર ચરખા પર કાંતણ, વૃક્ષો ઉગાડવા, ગાયોની સંભાળ, ઓફિસ અને પટાવાળાનું કામ, રસોડાના કામ. ફિઝીયોથેરાપી, સ્પીચથેરાપી, ટોઇલેટ તાલીમ, વર્તન સમસ્યાનું નિરાકરણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતગમત વગેરે જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. કેટલાક તો શૌચાલયની તાલીમ વગરના પણહોય છે. વ્યક્તિગત સમજણ ક્ષમતાના આધારે, તેમને તાલીમ આપવામાં આવે છે.
રક્તપિત્ત પીડિત બાળકો અને અન્ય આદિવાસી ગરીબ માતાપિતા માટે છાત્રાલયો
વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં રહેતા રક્તપિત્તગ્રસ્ત બાળકો (મોટાભાગે ભિખારીઓ) અને અન્ય ગરીબ માતા-પિતા માટે સંત શ્રી દેવીદાસબાપુ કુમાર છાત્રાલય અને શ્રી નારાયણકૃપા કન્યા છાત્રાલય. ટ્રસ્ટ મફત રહેવા, જમવાની વ્યવસ્થા, શિક્ષણ, ટ્યુશન, રમતગમત, પ્રવાસ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગેરે પૂરી પાડે છે.
શ્રીમતી. સુભદ્રાબેન જયંતિલાલ નાગરદાસ શાહ હોસ્પિટલ
સહયોગમાં 45 બેડની હોસ્પિટલ છે જેમાં સામાન્ય સારવાર, ઓપરેશન થિયેટર, ફિઝીયોથેરાપી, એમ્બ્યુલન્સની સુવિધાઓ છે. આસપાસના ગામડાઓના દર્દીઓને ઓ.પી.ડી.માં સારવાર આપવામાં આવે છે. કુષ્ઠ રોગથી પીડિત વ્યક્તિઓ, ફક્ત ગુજરાત જ નહીં, પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ, અહીં સારવાર માટે આવે છે.
તુલસી-શ્યામ ગૌશાળા
વૃદ્ધ, અપંગ અને રોગગ્રસ્ત ગાયો જેમને તેમના માલિકો દ્વારા ત્યજી દેવામાં આવી છે, તેમને આ ટ્રસ્ટમાં સ્વીકારવામાં આવે છે અને તેમની સંભાળ રાખવામાં આવે છે.
સંતરામ શારદેશ્વર ધામ
ટ્રસ્ટમાં એક અનોખું મંદિર બનાવવામાં આવ્યું છે. મધ્યમાં સ્થિત અર્ધગોળાકાર પર, ૧૧ વિશ્વ ધર્મો પ્રતીકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, માનવતાની સેવા કરનારા વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ, દા.ત. મધર ટેરેસા, મહાત્મા ગાંધીજી, લિંકન, હેલેન કેલર, વગેરે પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. કાચ અને બીમ પર અસંખ્ય પ્રેરણાદાયી વાક્યો કોતરવામાં આવ્યા છે.
અન્ય પ્રવૃત્તિઓ
a. યાત્રીનિવાસ
b. નજીકના ગ્રામજનો માટે પાર્કિંગ સ્ટેન્ડ
c. અકસ્માતો ટાળવા માટે ઊંટ ગાડીમાં રિફ્લેક્ટર
d. અંધશ્રદ્ધા દૂર કરવી
આ એક નવું બનાવેલ ગામ છે, જેમાં કેમ્પસમાં જ ચૂંટણી મથક છે. દરેક ઘરમાં શૌચાલય, બાથરૂમ અને “તુલસિક્યારા” છે.
નાજુક તબિયત હોવા છતા આદરણિય શ્રી સુરેશભાઇ સાહેબે અમને સૌને એમની મુલાકાત લેવાનો પુરતો સમય આપ્યો અમને સૌને ભાવપૂર્વક મળ્યા. જીવનભર ખાદી અને સાઇક્લના સથવારે કુટિરમા રહી પોતાનુ નિસ્વાર્થભાવે સાદગીપૂર્ણ સેવાભાવી જીવન જેવી રહેલ આદરણિય શ્રી સુરેશ્ભાઇ સોની સાહેબ ને વંદન સહ અભિંનંદન.
પ્રભુ સેવા મંડળ લક્ષ્મીપુરા, પાલનપુર દ્વારા આ કેમ્પ્સમા સતત બે કલાક સુધી રામધૂન બોલાવી કેમ્પ્સના સમગ્ર માહોલને ભક્તિમય બનાવી દેવામા આવ્યો હતો.