જાગૃતિ, સંસ્કાર અને જીવન નિર્માણનો પવિત્ર અવસર
શિક્ષણ સાથે વિદ્યાર્થીને જીવન સાચી રીતે જીવવાની કેળવણી મળે તો જીવનની મોટાભાગની પારિવારિક અને સામાજિક સમસ્યાઓનો ઉકેલ સહજતાથી મળી શકે. માત્ર ડીગ્રીલક્ષી શિક્ષણ આર્થિક સધ્ધરતા અપાવી શકે પણ ઉત્તમ જીવન જીવવાની સમજ કેળવણી થકી જ પ્રાપ્ત થઇ શકે. આજના હરીફાઈના યુગમાં વ્યક્તિ આર્થિક –માનસિક રીતે સમૃધ બને તે હેતુ વ્યક્તિ નું ઘડતર એની યુવા અવસ્થાથી જ થાય એ અત્યંત જરૂરી છે. વડોદરા સ્થિત Oasis નામની NGO આ બાબતે છેલ્લા ઘણા વર્ષોથી દેશ-વિદેશમાં મહત્વપૂર્ણ કાર્ય કરી રહેલ છે. આજ સંસ્થાના પ્રતિનિધિ રિયા શાહ કે જેમનો પરિવાર બનાસકાંઠાના વડગામના મૂળ વતની છે અને રિયા આ પ્રકારની શીબીર તાલીમના અનુભવી છે. અમને તેમના પરિવારના માધ્યમ થકી તેમની આ પ્રવૃત્તિઓ વિષે જાણવા મળ્યું. રિયાબહેન ના પરિવારજનો અને રિયાબહેનને વિચાર આવ્યો કે આપના વતનના વિસ્તારામાં પણ આવી શિબિરોનું આયોજન કરવામાં આવે તો યુવા પેઢી વધુ તાલીમ મેળવી એક ઉતમ વ્યક્તિ બનવાની સાથે પોતાની નૈસર્ગિક ક્ષમતાઓને વિકસાવી પોતાનું મહત્વપૂર્ણ યોગદાન સમાજ જીવનમાં ચોક્કસ આપી શકે.
આ વિચાર સાથે બનાસકાંઠામાં ઓએસીસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ પોતાના વતન વડગામ તાલુકાથી પાઈલોટ પ્રોજેક્ટ મારફત શરૂ કરવાનો નિર્ણય કર્યો અને એ અંગે તેઓએ વિ.જે. પટેલ હાઈસ્કૂલ વડગામ, સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામના આચાર્યોશ્રીઓને મળીને આ અંગેની વિશેષ માહિતી જણાવી. કેમ્પના મહત્વને સમજીને વિ જે પટેલ અને સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામના આચાર્યશ્રીઓએ આ બાબતે સકારાત્મક સહકાર આપવાનું જણાવ્યું ત્યારબાદ વડગામા તાલુકામાં આવેલી માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓની એક મીટીંગનું આયોજન થયું જેમાં તાલુકાની મોટાભાગની હાઈસ્કૂલના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા જેમાં વિદ્યાર્થીના વ્યક્તિ ઘડતર કેમ્પ વિષેની માહિતી રિયા બહેને ઉપસ્થિત સર્વેની આપી તેમજ ઉપસ્થિત આચાર્યશ્રીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. તાલુકાના માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આ પ્રકારની સાત દિવસીય સંપૂર્ણ નિવાસી તાલિમ હોવાથી મોટો પડકાર હતો. બાળકો ને પરિવારથી દૂર સાત દિવસ મોબાઈલ સિવાય તાલિમ લેવા મોકલવા એ શાળાના આચાર્યશ્રીઓ અને વાલીઓ માટે પણ કઠિન કાર્ય હતું પણ છતાં સૌ આ કેમ્પ વિષેની માહીતી જાણી આવી શિબિરોની ઉપયોગીતા વિષે પણ સકારાત્મક અભિગમ ધરાવતા હતા. કાર્ય મુશ્કેલ હતું પણ અશક્ય ના હતું. ટૂંકા સમયમાં આ બધું આયોજન કરવાનું હતું એટલે પડકાર મોટો હતો પણ રિયા બહેનનું સ્વપ્ન હતું કે મારે મારા વતન માટે કંઈક કરવું છે એ દ્રઢ સંકલ્પ શક્તિનો આત્મ વિશ્વાસ દ્રઢ હતો. સાત દિવસની નિવાસી તાલીમ માટે વ્યવસ્થાઓનું આયોજન કરવું સહેલુ ના હતું. રિયા બહેનનું ધ્યેય આ શિબિરના માધ્યમથી આર્થિક ઉપાર્જનનું ન હતું અને સામે આવા કેમ્પનો ખર્ચ પણ વધુ આવવાનો હતો. વિદ્યાર્થીઓ આવી શિબિરનો લાભ મેળવી શકે એટલે ફી નું કોઈ નિશ્ચિત ધોરણ પણ નક્કી કરવવામાં આવ્યું ન હતું કારણ કે ઉદ્દેશ સ્પષ્ટ હતો કે શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ શિબિરમાં તાલિમ મેળવી વધુ સારા નાગરિક બનવાની સાથે પોતાનું યોગદાન પોતાની શૈક્ષણીક સંસ્થાની સાથે સાથે સમાજને પણ આપી શકે. સ્વૈચ્છિક જે પણ યોગદાન આપી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત પ્રયત્નોના અંતે સૌ પ્રથમ ૭૫ જેટલા વિદ્યાર્થીઓ અને સાત જેટલા શિક્ષકો અને સ્વયમ સેવકોએ આ કેમ્પ માટે શાળા અને વાલીઓના સહકાર થકી રજીસ્ટ્રેશન કરાવ્યું.
મે મહિનાની ૭ થી ૧૩ તારીખ વચ્ચે તાલિમ યોજવાનું નક્કી કરવામાં આવ્યું અને જગાણા સ્થિત જૈન તીર્થ ધામને કેમ્પ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું. આખરે મે મહિનાના માવઠા ને ભારત –પાક યુદ્ધ ની આશંકા વચ્ચે પણ એક ઉમદા હેતુ ને ચરિતાર્થ કરવા ઓએસીસ ડ્રીમ ઇન્ડિયા કાર્ય શીબીરનો શુભારંભ થયો જ્યાં વિદ્યાર્થીઓ શૈક્ષણીક અભ્યાસના નહિ પણ જીવન ઘડતરના મહત્વપૂર્ણ પાઠ શીખવાના હતા જ્યાં એમની પોતાની પ્રાકૃતિક શક્તિઓને તેઓ જાણવાના હતા અને એક નવા જ સંસ્કાર અને જીવન પધ્ધતિ વિષે તેઓ અવગત થવાના હતા. સવારે ૫.૩૦ થી રાત્રે ૧૦.૦૦ વાગ્યા સુધી તેઓ સ્વયમ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિવિધ પ્રવૃતિઓમાં સહભાગી થઇ પોતાની જાત જાતે સંવાદ કરવાની સાથે એક સશકત રાષ્ટ્ર ના નિર્માણ માટે કટીબદ્ધ બનાવના હતા.
સાત દિવસ ની નિવાસી તાલીમનો એક નવીન અનુભવ અ કેમ્પમાં સહભાગી શિક્ષકો અને વિધાર્થીઓ શિબીર સમાપનના દિવસે આમંત્રિત મહેમાનો સમક્ષ રજુ કરવાના હતા અને એ દિવસ આવી પહોંચ્યો જ્યારે આ શીબીર ની ફળાશ્રુતિ ઉપસ્થિત સૌ કોઈ જાણવાના હતા કારણ કે આ એક એવો કેમ્પ હતો જેમાં માત્ર સાત દિવસની અંદર વિધાર્થીઓ અને શિક્ષકો એવી બાબતો રજુ કરવાના હતા કે જે એમને એમના જીવનમાં ખૂબ કામ આવવની છે.
એક અનોખું ૭ દિવસનું રેસિડેન્શિયલ કેમ્પ જ્યાં ૫ શાળાઓના લગભગ ૬૦ વિદ્યાર્થીઓએ ફોન વિના, માતા-પિતાના વિના, એક અનોખી સહયાત્રા કરીને જીવંત જીવન શિક્ષણ મેળવ્યું છે. ગૌરવ એ બાબતનું છે કે, વિદ્યાર્થીઓએ આ છેલ્લા એક મહિના દરમિયાન કેવળ જ્ઞાન નહીં, પણ વ્યક્તિત્વ વિકાસ, સંબંધોની ઊંડાણ, અને સંસ્કારપૂર્ણ જીવનશૈલીની અનુભૂતિ પણ મેળવી છે.
કેમ્પ સમાપન સમારંભમાં વિદ્યાર્થીઓ પોતાનું આખા મહિના પરનું અનુભવનાં સંસ્મરણો, અભિગમ અને પરિવર્તન આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ , આચાર્યશ્રીઓ , શિક્ષકશ્રીઓ,સેવાકીય સંગઠનો સમક્ષ અદ્દભૂત રીતે રજૂ કર્યા હતા જે અવિસ્મરણીય હતા. સમગ્ર સભાનું સંચાલન સ્વયંમ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જે એમનો આત્મવિશ્વાસ દર્શાવતો હતો. વ્યક્તિના જીવન ચારિત્ર્ય ના ઘડતર બાબત આવા કેમ્પો સમાજજીવનમાં અમૂલ્ય યોગદાન આપી શકે છે, જે માત્ર સાત દિવસની નિવાસી તાલીમ દરમિયાન સર્વે અનુભવ્યું.
તા. ૧૪.૦૫.૨૦૨૫ને બુધવારને કેમ્પ સમાપનને દિવસે વડગામના વતની અને વિનસ જ્વેલ, સુરતના આદરણિય સેવંતીભાઈ પી. શાહ અને તેમના પરિવારજનો , માલણ નિવાસી જૈનશ્રેષ્ઠી શ્રી વસંતભાઈ, બનાસકાંઠા જિલ્લાના નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી મા. શ્રી ભરતદાન ગઢવી , DEO ઓફિસ પાલનપુર થી શ્રી એસ.ડી જોશી , શ્રી હરેશભાઈ પટેલ અને તેમની ટીમ, DEO Office – વર્ગ 2 માંથી શ્રી વી.ડી પરમાર અને તેમની ટીમ, ડાયેટ માંથી ડૉ. જીગરભાઈ જોશી, ભાવેશભાઈ પંડ્યા, બનાસકાંઠાની NGO માંથી જાયંટ ગ્રુપ ના પ્રમુખ શ્રી ભાઈચંદભાઈ પટેલ, જન સેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ માંથી શ્રી અશોકભાઈ પઢીયાર, મહિલા કલાનિધિ ટ્રસ્ટ ના પ્રમુખ રશ્મિબેન હાડા , લોક સાહિત્યકાર ભાનુભાઈ ત્રિવેદી, શિક્ષણવિદ અને અભ્યાસુ હિદાયતભાઈ પરમાર, કિરણભાઈ અને તેમની ટીમ ( ઉડાન ફાઉન્ડેશન) , હુસેન મુસબજી ( ન્યુવેલ ઈલેવન ગ્રૂપ), રોશન દેસાઈ ( એન્કર સામાજિક ઈનોવેટર ) રૂબીના મુખી ( ડાન્સ કોરિયોગ્રાફર), ગૌતમ પટેલ ( પ્રભુ સેવા મંડળ) લક્ષ્મીપુરા , રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ શ્રી મદારસિંહ રાજપૂત , સરસ્વતી કન્યા વિદ્યાલય વડગામ અને સરસ્વતી માધ્યમિક- ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્ય શ્રીઓ અનુક્રમે શ્રીમતી ઉર્વશીબેન ચાવડા, શ્રી ઉદેસિંહસોલંકી, વડગામ આંજણા કેળવણી મંડળના પ્રમુખ શ્રી રામજીભાઈ વી.પટેલ, મંત્રીશ્રી લક્ષ્મણભાઈ પટેલ, આચાર્ય શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, થલવાડા હાઈસ્કૂલના આચાર્યા રાઈ બહેન, પીલુચા હાઈસ્કૂલના આચાર્ય શ્રી એમ.એસ.મોઢ, ,એસ.બી હાઈસ્કૂલ કાણોદરના આચાર્યશ્રી યોગેશભાઈ ચૌધરી , વડગામ ગેલેક્સી સ્કૂલના સંચાલક શ્રી કાનજીભાઈ પટેલ, અન્ય શાળાઓના આચાર્યશ્રીઓ શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ, પ્રેસ મિડીયાના મિત્રો, વગેરેની ઉપસ્થિતિમાં કેમ્પ માં તાલિમ મેળવેલ વિદ્યાર્થીઓ એ તેઓ તાલીમમાં શું શીખ્યા એનું પર્ફોર્મન્સ આપ્યુ હતું . ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ રિયાબહેન, તેમની સાથે જોડાયેલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી અને મહત્વપૂર્ણ પ્રાસંગિક મંતવ્યો આપ્યા હતા.
દેશ વિદેશના ઉતમ વ્યક્તિઓના જીવન ચારિત્ર્ય , ઉતમ સંસ્થાઓ અને ૧૦૦ થી વધુ ઉત્તમ પુસ્તકોમાંથી તારવણી કરીને સરસ કેળવણી લક્ષી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો હતો જે સાચા અર્થમાં આજે આ કેમ્પ માં સાર્થક થતો જોઈ શકાતો હતો. રિયા બહેને જે મક્કમતાથી અને આત્મવિશ્વાસપૂર્વક રાત –દિવસ જોયા વિના આ કેમ્પનું સંચાલન કર્યું એ એક માઈલ સ્ટોન હતું એક નવા વિચાર અને નવી પધ્ધતિ સાથે માત્ર સાત દિવસમાં બાળ કેળવણીનું કાર્ય કેવી રીતે થઇ શકે એનું ઉતમ ઉદાહરણ રિયા બહેને પુરૂ પાડ્યું છે. શિક્ષણ સાચા અર્થમાં દીપી ઉઠે એવું કાર્ય ઓએસીસ ડ્રીમ ઇન્ડિયા કેમ્પ થકી બનાસકાંઠા જીલ્લામાં થયું છે. આશા રાખીયે આ અનુક્રમ આગળ પણ ચાલતો રહે અને જીલ્લા ના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ કેમ્પના માધ્યમ થકી પ્રગતિના નવા સોપાનો સર કરે. રિયા શાહે આપણા આંગણે ડ્રીમ ઈન્ડીયા કેમ્પ થકી દીવો ધરવાનું કામ કર્યું છે હવે એમાં તેલ / ઘી પૂરવાનું કાર્ય આપણે સૌ એ ઉપાડી લેવા જેવું છે જેના થાકી સાચી કેળવણીના પ્રકાશ ફેલાવાવનું કાર્ય વિદ્યાર્થી અવસ્થાથી અવિરત થઇ ચાલ્યા કરે !
કાણોદરના એહમદભાઈ હાડા અને વડગામ.કોમના નીતિન પટેલે રિયા સાથે કોર ટીમ મેમ્બર તરીકે કેમ્પને સફળ બનાવવા મહેનત કરી હતી.
નોંધ :- આવી નિવાસી તાલીમ ચલાવવાનો વ્યવ્સ્થા ખર્ચ પણ વધુ થતો હોય છે એટ્લે સુજ્ઞ દાતશ્રીઓને પણ વિનંતી કે આવા કાર્યક્રમો પાછળ યથા યોગ્ય સહયોગ આપે તો સમાજ જીવનમા ઉત્તમ નાગરિકો તૈયાર થવાની સાથે યુવા કેળવણી ક્ષેત્રે અમૂલ્ય યોગ્દાન આપ્યુ ગણાશે.