પવિત્ર પાવન ભૂમિ એવા આબુરાજના પર્વતો વચ્ચે આવેલ ઐતિહાસિક પાંડવગુફાની પ્રાકૃતિક જગ્યાએ વિશ્વ વર્ષાવન દિવસે મુલાકાતે જવાનું થયું. યોગાનુયોગ આ દિવસે વર્ષારાની પણ મન મુકીને વરસ્યા હતા એટલે વનમાં તો જાણે ઉત્સવનો માહોલ હતો. નિરવ શાંતિ વચ્ચે ઊંચા પહાડો વાળા સમૃદ્ધ વનમાંથી વહી આવતાં ઝરણાં, અનેક પક્ષીઓના મધુર અવાજો, આકાશમાંથી ઝુકીને ધરતીની સાથે અમને આલિંગનમા લેવા થનગની રહેલા વાદળોરૂપી ધુમ્મસભર્યા વાતાવરણમાં અમે જાણે કોઈ સ્વર્ગમાં ઉતરી આવ્યા હોય એવો અહેસાસ તન-મનને તાજગી બક્ષી રહયો હતો.
આ ઐતિહાસિક ભૂમિમાં પાંડવોએ વનવાસ દરમિયાન પરિભ્રમણ દરમિયાન અહીંની ગુફામાં શિવલિંગની સ્થાપના કરી છે એટલે આ સ્થળ પાંડવગુફા નામે ઓળખાય છે. ગુફાની અંદર પાંચ શિવલિંગ છે એમાં સ્વયંભુ પ્રગટ થયેલ શિવલિંગ પણ છે એવી લોક માન્યતા છે. સૌ પ્રથમ અમે ગુફાની અંદર શિવલિંગના દર્શન કર્યા, શિવ સ્તુતિ કરી પછી આ જગ્યાના અફાટ પ્રાકૃતિક સૌંદર્યનું મનભરીને રસપાન કર્યું.
જોડે જ ઊંચાઈ પર અગ્નેશ્વર મહાદેવનું મંદિર છે, પણ વરસાદને લીધે કાદવ – કીચડ વાળા રસ્તે વન્ય વિસ્તારમાં ધુમ્મસ વાળા વાતાવરણમા વન્ય પ્રાણીઓની હાજરીની શક્યતા વચ્ચે ઊંચાઈ ઉપર જવુ મુશ્કેલ હોવાથી અને સમય પણ ઓછો હોવાથી એ સ્થળને દર્શન કરવાનુ બાકી રહ્યુ છે, બીજી વખત પાંડવગુફા આશ્રમ રાત્રીરોકાણ વખતે એ સ્થળની નિરાંતે મુલાકાત લઈશું. રતનગીરી બાપુએ અંહી વર્ષો સુધી તપ કરી તપોભૂમિ તરીકે આ જગ્યાને પવિત્રતા અર્પી તો ડુંગરપુરીબાપુ અત્યારે એમના શિષ્ય તરીકે આ જગ્યાનો વહીવટ સંભાળી રહ્યા છે.
માઉન્ટ આબુમાં બે આબુ અસ્તિત્વ ધરાવે છે, અમે જેને આબુરાજ કહીને સંબોધીએ છીએ એ બધી પવિત્ર પાવન તપોભૂમિઓ છે, જ્યાં અનેક તપસ્વિઓએ તપ કરી આ ભૂમિને પવિત્ર રાખી છે, એનો ઈતિહાસ અમર છે, એની વન સમૃદ્ધિ બેનમુન છે, એના વાતાવરણમાં આધ્યાત્મિકતાનો પ્રભાવ છે, એના દર્શન માત્રથી અલૌકિક આનંદની અનુભૂતિ અનુભવાય છે, બીજું આબુ એ હિલ સ્ટેશન છે, જ્યાં ભીડભાડ રહે છે. ક્ષણિક ભૌતિક આનંદ અપાવે છે, જે મૃગજળ જેવું ભાસે છે. હવાફેર કરીને પણ ફેરો ફોગટ જાય એવું આ હિલ સ્ટેશન છે, તો આબુરાજ એ ઊર્જા સ્ત્રોત નો ભંડાર છે જે વ્યક્તિને સાત્વિક આનંદની અનંત અનુભૂતિ કરાવે છે, આવા આબુ રાજમા અફાટ પ્રકૃતિ ની વચ્ચે પાંડવ ગુફા આવેલી છે, જેની અમે પરિક્રમા કરી. પ્રકૃતિના વિશાળ સામ્રાજ્ય વચ્ચે ભજન સાથે સાત્વિક સ્વાદિષ્ટ ભોજનનો અપાર આનંદ અનુભવ્યો.
કાણોદરથી એહમદભાઈ હાડા, પાલનપુરથી જયેશભાઈ સોની, અશોકભાઈ પઢીયાર, બાલુન્દ્રાથી જવાન દેસાઈ પાંડવગુફાની મુલાકાતમાં સહયાત્રીઓ તરીકે જોડાઈ યાત્રાને યાદગાર બનાવવા બહુમૂલ્ય યોગદાન આપ્યું તો સ્થાનિક ભક્તજનોએ અમને પુરતો સહયોગ આપ્યો. પૂ. ડુંગરગીરી બાપુ બહારગામ ગયા હોવાથી એમને મળી શકાયું નહીં. સ્થાનિક લેવલે સગવડયુક્ત સુંદર ધર્મશાળાની વ્યવસ્થા સુજ્ઞ દાતાશ્રીઓના સહયોગ થકી નિર્માણ કરવામાં આવી છે.
પાંડવગુફા વિસ્તારના વધુ વિડીયો આપ અહી આપેલ યુ ટ્યુબ વિડીયો માં નિહાળી શકો છો.
નીતિન પટેલ (વડગામ)