પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ)

૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ યુનિવર્સીટી થી મેં અને યુવા મિત્ર સુરેશે ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલા ગુજરાતના એક માત્ર હિલ સ્ટેશન એવા સાપુતારા જવા વહેલી સવારની ૬.૩૦ કલાકે નવસારી બસ સ્ટેન્ડથી ઉપડતી બસ પકડવા પ્રયાણ કર્યું. ટિમ ટિમ કરતા રહતા તારા આઓ ચલે સાપુતારા એ જિંગલ ને મનમાં વિચારતા હતા ત્યાં મુખ્ય ગેટ આગળ થોડી રાહ જોવડાવ્યા બાદ એક રીક્ષા મળી ત્યાંથી અમે નવસારી રેલ્વે સ્ટેશન ગયા ત્યાં નજીક માં આવેલી બોસ્ટન ની પ્રખ્યાત ચા ની કીટલી ઉપર વહેલી સવારનો ચા નો આનંદ માણ્યો. જો કે સુરેશને તો ચા નું પણ વ્યસન નહિ એટલે મારે એકલા એ જ ચા પીવી પડતી. મસ્ત મઝાની બોસ્ટન ચા નો નશો કરી અને ત્યાંથી એક બીજી રિક્ષા દ્વારા નાવસારી બસ સ્ટેશન પહોંચ્યા. સુરેશે ગઈકાલે રાત્રે જ નવસારી વાયા સાપુતારા થી મહારાષ્ટના નાસિક જતી એક્સપ્રેસ બસની ટીકીટ ઓનલાઈન બુક કરાવેલી એટલે અમે નિરાંતે બસની રાહ જોતા નવસારી બસ સ્ટેશન ઉપરની વહેલી સવારની ગતિવિધિઓ નિહાળતા હતા એટલામાં નિર્ધારિત સમયે બસ આવતા અમે બસમાં ચડ્યા. બસમાં ઠીક ઠીક માત્રામાં ભીડ હતી પણ અમારે સીટ બુક હોવાથી જગ્યા મળી ગઈ. બસની ખુલ્લી બારી માંથી વહેલી સાવારનો આવતો ઠંડો વાયરો કેટલાક મુસફરો હિલ સ્ટેશન ની જેમ માણી રહ્યા હતા પણ મને આ ઠંડો પવન વિલન બનીને માથા ઉપર પથ્થરની જેમ અથડાતો હતો એટલે મેં વિનતી કરી એટલે એમણે પણ માનવતા દાખવી બારી થોડી બંધ કરી આમ પણ સામુહિક મુસાફરી કરતા હોઈએ એટલે થોડી સહકારની ભાવના રાખવી આ અમે નાના હતા અને અભ્યાસ અર્થે બસ માં અપડાઉન કરતા હતા ત્યારે સમજ્યા હતા.ચીખલી આવ્યું એટલે અડધી બસ ખાલી થઇ ગઈ આગળ મુખ્ય વાસંદા અને વઘઈ નામના મુખ્ય મથક આવતા હતા. સાપુતારા સુધીનો નેશનલ હાઈવે ૯૫૩નો રોડ માર્ગ સરસ છે એમાં પણ વઘઈ વાસંદાથી આગળનો સાપુતારા સુધી ડાંગના જંગલો માંથી ડુંગરાળ વિસ્તારને કારણે સર્પાકારે સુંદર વળાંકો વાળા માર્ગ ઉપરથી પસાર થતી બસની બારીમાંથી જંગલની તરોતાજી હવા ફેફસામાં ભરતા ભરતા કુદરતના શ્રેષ્ટ તત્વોથી ભરેલો પ્રાકૃતિક નજારો દર્શનીય લાગતો હતો. દૂર-દૂર સુધી ફેલાયેલી ખીણો અને લીલીછમ વનરાજીનાં દ્રશ્યો મનને હરી લે છે. એડવેન્ચર ટુરિઝમ તરીકે પણ સાપુતારા જાણીતું બન્યું છે.વહેતી નદીઓ, મહુડા,ખાખરા, ટીમરૂ , સાગ , કરંજ, વાંસ જેવા દેશી અને વિશાળ વૃક્ષો વચ્ચે થી પસાર થતી વખતે બે ઘડી બસ માંથી ઉતરી કુદરતની સુંદરતાને મન ભરીને માણવાની ઉત્કુંઠા થઇ આવી પણ એમ અધવચ્ચે ઉતરીને પછી સાપુતારા પહોંચવું કેવી રીતે ? એટલે બસ માં બેઠા બેઠા જ બસની બારી માંથી કુદરતી સૌન્દર્યનું છેક સાપુતારા સુધી રસપાન કરતા રહ્યા. મને પહાડો , વૃક્ષોથી આચ્છાદિત ગીચ જંગલો અને એમાંથી વહેતી નદીઓ જોઈને એક સત્ય એ સમજાયુ કે પાણી અને પ્રકૃતિ ને સીધો સબંધ છે. લીલાછમ વુક્ષો સાથે હરિયાળા પહાડો અને ગીચ જંગલો જ પાણીને નદી સ્વરૂપે વહેતું રાખે છે. લીલાછમ પહાડ, અસંખ્ય વૃક્ષ- વનરાજી થી સમૃધ જંગલો પ્રકૃતિની અણમોલ ભેટ છે અથવા તો ઈશ્વર સ્વરૂપ છે એ સનાતન સત્ય છે. સાપુતારા જતા માર્ગ આજુબાજુ અફાટ ફેલાયેલી પ્રકૃતિના દર્શન કરતા કરતા ક્યારે સાપુતારા આવી ગયું એનો ખ્યાલ ન રહ્યો. જાણે કોઈ સ્વપ્ન જોઈ પાછા સ્વર્ગમાં પહોંચી ગયા હોઈએ એવો અહેસાસ અનુભવાઈ રહ્યો હતો. સાપુતારા હિલ સ્ટેશનની સ્થાપના ૧૯૬૦ માં બોમ્બે અને ગુજરાતના ભાગલા દરમિયાન કવામાં આવી હતી.

સાપુતારા હિલના બસ સ્ટેન્ડ ઉપર સવારે ૯.૦૦ કલાકે ઉતરી ત્યાં કેટલી ની લારી ઉપર સરસ મઝાની ચા સાથે થોડોક નાસ્તો કર્યો અને હવે અમે સાપુતારા માં પહેલી વખત ગયા હતા અને પાછો ભાદરવો મહિનો હોવાથી હિલ સ્ટેશન હોવા છતાં ગરમીની પ્રમાણ વધુ હતું એટલે અમે સાપુતારાના જોવા લાયક દરેક સ્થળે સમયસર અને આરામદાયક ફરી શકાય એટલે અમે એક ટવેરા ગાડી  ચાર-પાંચ કલાક ના રૂ ૮૦૦/- લેખે રેન્ટ ઉપર લીધી અને અમે સાપુતારા હિલ ઉપરની સફર શરૂ કરી.. ટવેરા ગાડીના ડ્રાઈવરે અમને જણાવ્યું કે સાપુતારા હિલ તળેટીથી ૪૦૦૦ ફૂટ ઉપર છે અને અહી જોવાલાયક કુલ ૧૦ પોઈન્ટ છે. આપણે કોઈ પણ શુભ કાર્ય ની શરૂઆત ગણેશ સ્થાપન કે ગણપતિદાદાના નામ સાથે કરીએ એમ અમે પણ સાપુતારાના પ્રથમ પોઈન્ટ તરીકે પૌરાણિક મંદિરમાં વર્ષોથી બિરાજમાન ગણપતિ દાદા ના દર્શન સાથે સાપુતારા હિલ સફરની શરૂઆત કરી. જોગાનુજોગ એ દિવસે ગણેશ વિસર્જન કાર્યક્રમ હતો એટલે મંદિરમાં ભાવિક ભક્તોની ચહલ પહલ વધુ જોવા મળતી હતી. ગણેશ ઉત્સવની ઉજવણી બાદ ગણપતિ દાદાની મૂર્તિના વિસર્જનની તૈયારીઓ ચાલી રહી હતી. અમારે તો શુભ સંયોગ ગણો તો શુભ સંયોગ પણ હિલ સ્ટેશનની શુભ શરૂઆત થઇ. સાપુતારા મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલું એક માત્ર ગુજરાતનું ગીરીમથક હોવાની સાથે ગુજરાતનું મહારાષ્ટ્ર બોર્ડર ઉપરનું છેલ્લું ગુજરાતનું સ્થળ છે. મહારાષ્ટ્રની નજીક હોવાથી અહી ગણપતિ ઉત્સવ નું મહત્વ વધારે છે. અમે ગણપતિ દાદા ના દર્શન કરી આશિર્વાદ મેળવી હિલ સ્ટેશનના બીજા પોઈન્ટ ઇકો પોઈન્ટ જોવા આગળ વધ્યા. ઇકો પોઈન્ટ માં ખાસ જોવા જેવું કશું નથી પણ નીરવ શાંત જગ્યાએ સામે ઊંચા ડુંગર અને તમેં કંઇક મોટા અવાજે બોલો તો એના પડઘા એ જ શબ્દરૂપે પાછા સંભળાય. ઇકો પોઈન્ટ ઉપરની મુલાકાત બાદ અમે પેરાશૂટ પોઈન્ટ તરફ ગયા અને ઊંડી ખીણ છે જ્યાં પેરાશુટ ફ્લાઈંગ કરાવવામાં આવે છે પણ અમે એમાં ખાસ કોઈ જોખમ લીધું નહિ અને માત્ર ત્યાના ખીણના ખૂબસુરત દ્રશ્યને આંખોમાં ભરી રોઝ ગાર્ડન તરફ આગળ વધ્યા જ્યાં વિવિધ પ્રકારના ગુલાબ તેમજ અન્ય છોડ ને ઉછેરવામાં આવ્યા છે. શાંતિ થી સમય પસાર કરવા માટે સારી જગ્યા છે પણ અમને રોઝ ગાર્ડનમાં ખાસ મઝા આવી નહી એટલે અમે રોઝ ગાર્ડનની ઉડતી મુલાકાત લઇ મધમાખી ઉછેર કેન્દ્ર જોવા આગળ વધ્યા . અગાઉ જણાવ્યું તેમ ગણેશ વિસર્જન નો કાર્યક્રમ હોવાથી મધમાખી કેન્દ્રનો સ્ટાફ કોઈ હાજર ન હતો અને અમારે મધમાખી ઉછેર કેન્દ્ર નો અભ્યાસ કરવો હતો પણ અમને માહિતી જણાવી શકે એવો સ્ટાફ કોઈ ત્યાં હાજર ન હતો. એક ભાઈ મળ્યા તો તેઓ પણ ગણેશ વિસર્જન માં જવા ખાસા એવા ઉતાવળા હતા. વિવિધ પ્રકારના મધ અને મધની ચિકી નું વેચાણ કેન્દ્ર પણ હતું એટલે અમે ત્યાંથી શુદ્ધ મધની એક બોટલ અને મધની ચીકી ખરીદવા ત્યાના ભાઈને કહ્યું એ ગણેશ વિસર્જનમાં જવા બહુ ઉતાવળમાં હતા એટલે ઉતાવળે ઉતાવળે એમણે કેટલીક મધની બોટલો અને ચિકી લાવી ટેબલ ઉપર મૂકી અને અમને એની અલા અલગ જાતની કીમત કહી સંભળાવી અમે જરૂરી મધ અને ચીકી ખરીદ કરી ત્યાંથી સરોવર કિનારે આવેલ મહાદેવના દર્શન કરવા ગયા. પૌરાણિક મંદિરમાં બિરાજમાન દેવાધિદેવ મહાદેવના દર્શન કરી અમે સરોવર કિનારે વૃક્ષના નીચેલ ગોઠવેલા બાંકડા ઉપર બેસી પાસે ઉભેલા મકાઈ વાળા પાસેથી મકાઈને શેકાવી એમાં મસાલો નંખાવી એમાં મસાલો નાખવી મસ્ત મઝાની માકાઈના દાણાને ડીસ બનાવડાવી એના સ્વાદની મઝા લીધી દરમિયાન એક ફોટોગ્રાફર ત્યાંથી પસાર તથો હતો તેને જોડે ગિટાર હતી થોડી વાર ગીટાર ઉપર હાથ અજમાવ્યો પણ એમાં કોઈ તાલ મળ્યો નહિ પણ એની જોડે અમે ગીટાર હાથ માં લઇ ને થોડીક ફોટોગ્રાફી નો આનદ લીધો.

આખરે અમે ચડતા બપોરે સાપુતારાના મુખ્ય પોઈન્ટ એવા ટેબલ પોઈન્ટ ઉપર પહોંચ્યા જેને ગર્વર્નસ હિલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હિલ ઉપર હોવા છતાં ભાદરવાની બાફ સાથેની ગરમી અમને પરેશાન કરી રહી હતી ખરેખર તો આ જગ્યાએ વહેલી સવારે કે ઢળતી સાંજે જવું જોઈએ પણ અમે બપોર માથે લીધો હતો એટેલે હવે એ સહન કરે છૂટકો હતો. ટેબલ પોઈન્ટ ઉપર નાની મોટી ઘણી એક્ટીવીટી ચાલતી હતી. ત્યાં એડવેન્ચર પર્વૃતિઓ પણ થાય છે. ઘોડે સવારી , પેરાશૂટ રાઈડિંગ., મોટર સાઈકલ રાઈડિંગ, રોપ વે, zip Lining વગેરે વગેરે પણ અમે બપોરની અસહ્ય ગરમીને લીધે ટેબલ પોઈન્ટને મન ભરીને માણી શકવા અશક્તિમાન હતા. છતાં ટેબલ પોઈન્ટ ઉપરથી આજુબાજુનું વાતાવણ અદ્દભુત દ્રશ્યમાન થતું હતું. ટેબલ પોઈન્ટ ની નજીક મહારાષ્ટની બોર્ડર લાગતી હતી અને મહારાષ્ટ્રના ગામડાઓ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આવા પ્રવાસ માં એક દુરબીન લઇને જવાનું ન ભુલવું જેથી તેનો આવા સ્થળે સદ્દ ઉપયોગ થઇ શકે. બાકી ટેબલ પોઈન્ટ ઉપરથી આજુબાજુના વિસ્તારો નયનરમ્ય લાગે છે. થોડીક ફોટોગ્રાફી કરી. ટેબલ પોઈન્ટ ઉપર થોડોક ફળાઉ નાસ્તો કર્યો અને ટેબલ પોઈન્ટ ઉપર ની ચહલ – પહલ નિહાળી અમને હવે ભૂખ કકડીને લાગી હતી એટલે અમે અમારી સાથેંના સ્થાનિક જીપ ડ્રાઈવર ને પૂછ્યું કે અહી સારું ગુજરાતી ભાણું ક્યાં મળશે ? એટલે એણે રસ્તા માં આવતી ચિત્રકૂટ હિલ રિસોર્ટ અમને બતાવી. ચિત્રકૂટ હિલ રિસોર્ટ માં હિલ સ્ટેશન ની હોટેલો ની તુલનામાં ગુજરાતી થાળી (અન લીમીટેડ ) પ્રમાણ માં વ્યાજબી હતી. ભોજન પણ પ્રમાણ માં સારું હતું . સાપુતારા માં સારી હોટેલ રોકાવાના ભાવ  રૂ. ૫૦૦૦ /- આસપાસ છે એટલે સાપુતારા હિલ સ્ટેશન પર રાતવાસો કરવો હોય તો ખાસું એવું બજેટ ખર્ચાઈ જાય એમ છે, પણ સાપુતરામા રોકાવાની  સુંદર વ્યવ્સ્થા મિત્ર મનોજ્ભાઇ પ્રજાપતિએ મિત્રભાવે અગાઉથી કરી આપી હતી. ભોજન કાર્ય બાદ અમે થોડો સમય ગેસ્ટ હાઉસમાં આરામ કર્યો ત્યાર બાદ સાંજે સુર્યાસ્તનો મસ્ત નજારો જોવા સનસેટ પોઇંટ જવુ હતુ પણ આકાશમા વાદળોની ચહલ-પહલ  વધી હોવાથી સૂર્યાસ્ત જોઈ શકશે નહી એમા માની ત્યા જવાનુ માંડી વાળ્યુ.  અંતે અમે સરોવર બાજુ બોટિંગ નિહાળવા ગયા ત્યાં સાંજ નો માહોલ મનમોહક હતો. આ સરોવર માનવ સર્જિત છે પણ અત્યંત આકર્ષક પણ છે. તળાવની આસપાસ હોટેલ્સ, થિયેટર્સ, બોટહાઉસ અને સંગ્રાલય આવેલા છે. પ્રવાસીઓ અહીં નૌકાવિહાર કરી શકે છે. આ સરોવર સાપુતારાનું પિકનીક સ્પોટ તરીકે જાણીતું છે. આ સરોવરની આસપાસ પગપાળા રખડ્ડપટ્ટી કરવાનો આનંદ અનેરો છે. સરોવરની આસપાસ પગપાળા ભમવાનો આનંદ સ્વર્ગ સમાન છે એ રીતે પર્વતારોહીઓ માટે આ પ્રદેશ પણ ખાસ્સો એવો પ્રખ્યાત છે. સરોવર આજુબાજુ ના વિસ્ત્સરમાં ફરતા ફરતા ફરી એક મધમાખી પાલનનું બોર્ડ જોયું ત્યાં વિવિધ દેશી અનાજ , મધ અને અન્ય દેશી ઉત્પાનનો સ્ટોલ હતો. મધમાખી ઉછેર માટે મુકેલ પેટીઓનું નિરિક્ષણ કર્યું અને ત્યાંથી અમે પરત સરોવર ની જગ્યા એ આવ્યા. થોડીક ફોટોગ્રાફી કરી. તળાવમાં ગણપતિ વિસર્જન વિવિધ ગણપતિ મંડળો આવી રહ્યા હતા અમે પણ ગણપતિ દાદા ના દર્શન કર્યા સાંજનો સમગ્ર માહોલ ધાર્મિક રંગે રંગાઈ ચુક્યો હતો આ બાજુ સૂર્ય નારાયણ દિવસભર ગરમીનો પ્રકોપ વહાવી હવે અસ્ત થઇ રહ્યા હતા. મારી સાથે સુરેશે બપોરનીં ભોજન લીધું ન હતું અને માત્ર નાસ્તો જ કર્યો હતો એને સાંજે જમવાનું હતું પણ ત્યાં ગુજરાતી થાળી બહુ ઓછી મળે એટલે હું ને સુરેશ પાછા ચાલતા થોડાક જોખમી (જોખમી એટેલે કે અમારા ઉતારા થી એ હોટેલ જવા રાત્રે નીરવ શાંતિ માં એવો રસ્તો કે જ્યાં લુંટાવાની આશંકા રહે ) રસ્તે બપોરે જમ્યા હતા એ હોટેલે ડીનર માટે પહોંચ્યા.સાપુતારામાં તમને કોઈ શટલ રિક્ષા કે એવું કોઈ શટલિયુ વાહન જોવા ન મળે એટલે મોટેભાગે પોતાનું વાહન ન હોય એવા સંજોગો માં ચાલવું જ પડે . મે  બપોરે નુ ભોજન લીધુ હતુ  એટલે માત્ર ખીચડી કડીનો હળવો નાસ્તો કર્યો અને સુરેશ બપોરે જ્મ્યો  ન હતો એટલે એણે ગુજરાતી થાળી પસંદ કરી. પ્રવાસમાં હોઈએ એટલે આમ પણ ભારે ખોરાક પ્રવાસની મઝા બગાડી શકે એટેલે માપનો અને માફકસરનો ખોરાક લેવો આપણા હિતમાં રહે. રાત્રે દસ વાગ્યા આસપાસ હું અને સુરેશ અમારા ઉતારે જઈ સવારે વહેલા ઉઠી બસ પકડી સાપુતારા ને બાય બાય કરવાનું હતું એટલે સાપુતારા મુલાકાતની અવિસ્મરણીય યાદો મનમાં ભરી અમે ઝટપટ નિદ્રાદેવી ને શરણે જતા રહ્યા. (ક્રમશ:)

સાપુતારા શબ્દનો અર્થ ‘સાપનું ઘર’ એવો થાય છે. ત્યાં પહેલા ઢગલાબંધ સાપ જોવા મળતા હતા. આજે પણ જંગલમાં સાપનાં દર્શન દુર્લભ નથી. સાપુતારાનો હિલ સ્ટેશન તરીકે સારો એવો વિકાસ થયો છે.

 

  • નિતિન એલ. પટેલ

Leave a Comment

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

ગુરૂ મહારજના દર્શન – ટ્રેકિંગ અને સેવાનો ત્રિવેણી સંગમ.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જલોતરા પાસે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ શ્રી ગુરૂ ધૂંધળીનાથ મહારાજનું સ્થાન અનેક લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. એવું કહેવાય છે કે...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

ઐતિહાસિક જેશોર પર્વતની અવિસ્મરણિય મુલાકાત.

૨૦૨૩ ની ૩૧ મી ડીસેમ્બર ની સાંજે હું મિત્રો સાથે ગુજરાતના બીજા નંબરના સૌથી ઊંચા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં અરવલ્લીની ગીરીમાળાઓમાં  આવેલ જેશોર પર્વત...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ચીખલી ના પ્રગતીશીલ ખેડૂતોની મુલાકાત.

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ  વઘઈ બસસ્ટેન્ડ ઉપર બપોરે બે વાગે બસની રાહ જોઈને બેઠેલા મુસાફરોની ભારે ભીડ વચ્ચે...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

ગીરાધોધ અને વનસ્પતિ ઉદ્યાનની મુલાકાત

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ ) ૨૯ , સપ્ટેમ્બર,  2023 ની વહેલી સવારે અમે સાપુતારા મુલાકાતની સુવર્ણ યાદો ને મનમાં ભરી સાપુતારા થી અમારો...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાપુતારાની સફર

(દક્ષિણ ગુજરાત પ્રવાસનો બીજો દિવસ) ૨૦૨૩ના સપ્ટેમ્બર મહિનાની ૨૮મી તારીખની પરોઢે ચાર વાગે ઊંઘ માંથી ઊઠીને તાબડતોડ તૈયાર થઈને સવારે ૫.૩૦ કલાકે નવસારી કૃષિ...
Read More