પર્યાવરણ પ્રવાસ

શ્રી કર્બેશ્વર મહાદેવના દર્શને.

જળ, જમીન અને જંગલ સાથે મારે બચપણથી લગાવ અને પ્રકૃતિ એ જ પરમેશ્વર છે એવી દ્રઢ માન્યતા એટલે જીવનના અંત સુધી એનો લગાવ છુટે એમ નથી. બાલારામમાં શિવના સાનિધ્યમાં બચપણ વિતયુ એટલે સ્વાભાવિકપણે શિવ સાથે અમારે બચપણનો નાતો એટલે અમને તો પ્રકૃતિના કણેકણમાં સહજપણે શિવના દર્શન થતા રહે. પ્રકૃતિ ની વાત આવે એટલે એમા શિવ અને શક્તિ આવી જાય એવી દ્રઢ માન્યતા બચપણથી બંધાઈ ગયેલી.

મહાશિવરાત્રીના દિવસે પાલનપુરથી અંદાજીત ૨૦ કિમીના અંતરે આવેલ છાપરા ગામ નજીક પર્વત ઉપર રમણિય વાતાવરણમાં શ્રી કરબેશ્વર મહાદેવ ગુફા આવેલ છે ત્યાં સ્થિત શિવલિંગ અને ધુણાના દર્શને જવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. પાલનપુર તાલુકાના માલણથી આગળ બાજોઠીયાનું પાટીયું આવે છે ત્યાંથી માંડીને હાથિદ્રા સુધીનો માર્ગ બંન્ને બાજુ જંગલ વિસ્તાર ( જો કે આ જંગલ વિસ્તાર ભરાવદાર રહ્યો નથી જંગલી બાવળના ભરપુર વૃક્ષો ઊભા છે.પણ એકંદરે હજુ જંગલ વિસ્તાર ટકી રહ્યો છે અને એના વચમાંથી રોડ પસાર થાય છે.) નીરવ શાંતિ વચ્ચે સાઈકલિંગ ,રનિંગ, વોકિંગ માટે ઉત્તમ માર્ગ છે. હાથિદ્રાથી આગળ છાપરા ગામ છે, જ્યાં સાંકળેશ્વરી માતાજીનો પર્વત છે , જે કહેવાય છે કે બનાસકાંઠા જિલ્લાનો ઊંચામાં ઊંચો પર્વત છે, ચુલાપાણી નામનો જાણીતો પ્રાકૃતિક વિસ્તાર પણ અહીં છે. અમે અગાઉ આ બંને પ્રાકૃતિક સ્થળોની અલૌકિક મુલાકાત લઈ ચુક્યા છીએ. આ વખતે અમે છાપરા ગામના જ શ્રી કરબેશ્વર મહાદેવ ગુફા અને ધુણાના દર્શને જઈ રહ્યા હતા. આજે છાપરાના જ વતની એવા પિંકીબેન બાબુભાઈ ધ્રાંગીના ઘરે તેમની દિકરી દેવાંશીની પ્રથમ માસિક પુણ્ય તિથિ નિમિત્તે શ્રધ્ધાસુમન અર્પી પ્રાર્થના કરી.

શિવરાત્રીનો દિવસ હતો અને અરવલ્લીની પહાડીઓ વચ્ચે પર્વતીય ગુફામાં આવેલ શિવધુણી અને શિવલીંગના દર્શન કરવા અમે આગળ વધી રહ્યા હતા. સ્વચ્છ હવામાન અને ભરપુર ઓક્સિજન અમારા ફેફસાને પંપિંગ કરી રહ્યો હતો કારણ કે આગળ જતાં અમારે પ્રમાણમાં મુશ્કેલ એવું પર્વતીય ચઢાણ કરવાનું હતુ. હુ તો પ્રથમવાર આ ગુફા અને ધુણાના દર્શને જતો હોઈ એક ઉત્તેજના હતી. મહાશિવરાત્રીનું પાવન પર્વ અને આવી કુદરતમાં વ્યાપ્ત શિવદર્શન ની તક મળે એ કાંઈ શિવકૃપા વિના થોડું શક્ય બનતું હશે? મને આજે પણ વિસ્મય થાય છે કે દેવી- દેવતા શા માટે જંગલો અને ઊંચા પર્વતો ઉપર બિરાજમાન થતા હશે? કંઈક તો કારણ હશે ? હજુ મને આ પ્રશ્ન નો પ્રામાણિક ઉત્તર નથી મળયો. આખરે અમે પર્વત ઉપર ચઢાણ શરુ કર્યુ. ચારેબાજુ એટલી બધી નીરવ શાંતિ કે પ્રાકૃતિક અવાજને આપણે સાંભળી શકીએ એવું અનુભવાય કે જાણે કે શિવ અને જીવનું મિલન થયું હોય. આપણે જ્યારે સહજ પ્રાકૃતિક શક્તિ નો અહેસાસ અનુભવતા હોઈએ એવી અનુભૂતિ અનુભવાય. આપણે જાણે સ્વપ્નની દુનિયામાંથી વાસ્તવિક દુનિયામાં આવી ગયા હોઈએ એવી કોઈ અકળ અનુભૂતિ થાય. પર્વતનો કયો પથ્થર ક્યારે ગબડી પડે અને આપણને ખીણમાં ધકેલી દે એ રીતે ધારોધાર વાંકાચુકા પથ્થરો ઉપર સંભાળીને ચાલવું પડે. વર્ષો થી આ રીતે કોઈ તપસવીની મુદ્રામાં ધ્યાનમગ્ન પથ્થરો વર્ષોનો ઈતિહાસ સંગ્રહીને માનવ જાતની પામરતાની જાણે કસોટી લેતા હોય એવુ જણાય. આખરે પડતાં, આખડતા, લપસતા અમે ધુણીની જગ્યાએ પહોંચયા. અદ્દભૂત અનુભૂતિ અનુભવી જાણે રોમે રોમ શિવમય થઈ ગયું. શિવોહમ શિવોહમનો નાદ વાતાવરણમાં ગુંજી રહ્યો હોય એવો અહેસાસ અનુભવ્યો. પ્રકૃતિ અને પરમેશ્વર નો મેળાપ થયો. પર્વતોમાં છુપાયેલી કુવા જેવી ગુફાઓમાં પ્રવેશવું એટલે જાણે પાતાળલોકમાં પ્રવેશતા હોઈએ એવું લાગે. શિવશકતિનું વાઇબ્રેસન સંપૂર્ણ વાતાવરણમાં હોઈ અમે સહજ અને સ્વાભાવિક રીતે ગુફામા ઉતરી ગયા. અંદર જે દ્રશ્ય હતુ એ તો શબ્દોમાં વર્ણવું મુશ્કેલ છે એની તો માત્ર અનુભૂતિ કરવાની હોય. યોગીપુરુષો, મહાત્માઓ એમને એમ તો જન્મારો આવા જંગલો અને પર્વતો વચ્ચે નહી પસાર કરી દેતા હોય. એક આખો જનમારો ટૂંકો પડે એટલા રહસ્ય આવી જગ્યાઓમાં છુપાયેલા પડ્યા છે.
મૂળ તો અમે જંગલો, પહાડો અને વગડાના જીવ એટલે જ્યારે જ્યારે પણ જ્ળ, જમીન અને જંગલની વાત આવે એટલે સ્વાભાવિક પણે એમાં અમને સાક્ષાત પરમાત્માના દર્શન થાય છે.અને આ પરમ તત્વ જ અમને પ્રકૃતિ સાથે જોડી રાખે છે એમા નિશંક પણે કોઈ જ અતિશયોકતિ નથી.

 

2 Comments
  1. હર્ષદ દવે 4 years ago
    Reply

    સરસ પ્રાકૃતિક સ્થળ. ઈડરના પથ્થરો જેવા જ પથ્થરો જોવા મળ્યા. અરવલ્લીની પર્વતમાળામાં આ પ્રકારના ગ્રેનાઈટ પથ્થરો જોવા મળે છે. હમણા જ ગબડી પડશે એમ લાગે પરંતુ સદીઓથી અડીખમ યોગી માફક ધ્યાનસ્થ બેઠાં છે કે એક પગે ઊભા છે. શ્રદ્ધા અને પ્રકૃતિપ્રેમથી પ્રેરાઈને આપનો આ પ્રવાસ મને પણ કરબેશ્વર મહાદેવ સુધી લઈ ગયો એનો આનંદ છે. આપના માટે તો તે અવર્ણનીય જ હશે. ધન્યવાદ.

    • info@readnitin.in 4 years ago
      Reply

      ખૂબ ખૂબ આભાર આપનો હર્ષદભાઇ…આપે મહ્ત્વપૂર્ણ જાણકારી આપતા સરસ કોમેંટ લખી છે.

Leave a Reply to હર્ષદ દવે Cancel reply

Your email address will not be published.

You may also like

Read More

post-image
પ્રવાસ મુલાકાત

જુનાગઢ પ્રવાસ

જુનાગઢની શેરીઓમાં ફરવું ગમે એવી એ ઐતિહાસિક નગરી છે. રાજા-રજવાડાઓના ઈતિહાસ, એની ઈમારતો – કિલ્લાઓનુ અદ્દભૂત સ્થાપત્ય. મૈત્રક કાલીન બંધાયેલ આલીશાન ઉપરકોટનો કિલ્લો અને...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

સાસણ ગીર પ્રવાસ

૪૦ વર્ષો પછી ગીરની ધરતીની સોડમ માણવાને જવાનું થયું. હિંસક વન્યજીવો વચ્ચે રહેતા માનવીઓ પ્રકૃતિના સહ અસ્તિત્વના સિદ્ધાંતને સાચા અર્થમાં અહીં સાકાર કરતા જોવા...
Read More
post-image
પ્રવાસ મુલાકાત

જોગીડા પર્વત ટ્રેકિંગ

અરવલ્લી પર્વતમાળાના એક ભાગ તરીકે ઓળખાતા તારંગા પહાડીઓના શિખર ઉપર એવું માનવામાં આવે છે અનેક સંતોએ મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તારંગા પહાડ ઉપર આવું...
Read More
post-image
પર્યાવરણ પ્રવાસ મુલાકાત

જલંધર ગુફા ટ્રેક

આબુની અરવલ્લી ગિરિમાળાઓની તળેટીમાં આવેલ આઠ હજાર વર્ષ પહેલાં બંધાયેલ ઋષિકેશ મંદિર આધ્યાત્મિક જગતનું પ્રાચિન દેવાલય છે.આ જગ્યાએથી અરવલ્લીની ટોચે જલંધર મહારાજની ગુફા છે્....
Read More
post-image
પ્રવાસ મુલાકાત

પોશિનાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાત.

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની પ્રાકૃતિક અને ઐતિહાસિક અભ્યાસ મુલાકાતનું આયોજન એહમદભાઈ હાડા, રાજુભાઈ બારોટ, અસરફભાઈ બિહારી અને સ્થાનિક ગાઈડ મિત્ર વિક્રમસિંહ સાથે ગોઠવાયું. વરસાદની...
Read More